October 2007


rakhe_chhe_mane.jpg 

પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને
રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને
શક્ય ક્યાં છે ક્યાંક ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !
પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !
રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને
એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને

– હરકિસન જોષી

Bhojancharya 

અમે બોર્ડિંગમાં રહીને ભણતા (?) એ વખતની આ ભોજનકથા છે. પણ એ જમાનાની બોર્ડિંગ એટલે શું એ જાણવું જરૂરી છે. તો જ ભોજનચર્યાનો સાચો આસ્વાદ માણી શકાય. તે વખતે અમારી બોર્ડિંગમાં છ માસ રહેવા જમવા માટે ફકત અઢીસો રૂપિયા જ લેવામાં આવતા. વિદ્યાર્થીઓમાંથી કોઈના પિતાજીને ઘેર કાર નહોતી. અમારામાંથી મોટા ભાગના પ્રાથમિક શાળાના માસ્તરના કે એવી પાતળી આવક ધરાવનારા પિતાનાં સંતાનો હતાં. ઘરેથી દરેકને હાથખર્ચ માટે પચાસ સાઠ, કોઈકને વળી સો રૂપિયા જેવી બાંધી રકમ વાપરવા માટે મળતી, જે બાપાઓને ખૂબ મોટી અને અમને ખૂબ ઓછી લાગતી. તેમાં વધારો મંજૂર કરાવવો તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તેથી જ કડકાઈ સાથે અમારે કાયમી નાતો હતો. અડધી ચા પીવા માટે પણ ઉછી-ઉધારા કરવા પડતા. એ બોર્ડિંગ કે હૉસ્ટેલ એટલે આજના જેવી સંપૂર્ણ સગવડોવાળી નહિ પણ લગભગ સંપૂર્ણ અગવડોવાળી બોર્ડિંગ.

આ બોર્ડિંગમાં દિનચર્યામાં કેન્દ્રસ્થાને ભોજન રહેતું. વચ્ચે એક આડવાત – એક વખત એક વિદ્યાર્થીના પિતાજી આવ્યા. તે આયુર્વેદના જાણકાર. તેથી અમો બધા બેઠા ને તેમણે અમને ‘ભૂખ કઈ રીતે જગાડવી’, ‘હોજરી કઈ રીતે પ્રદીપ્ત કરવી’ એવી વાતો વિગતે સમજાવી. પણ અમારી સમસ્યા સાવ જુદી જ હતી. તેથી વાતને અંતે હું જ બોલ્યો કે હોજરી તો પ્રદીપ્ત થાય, પણ પછી ખાવું શું ? અમારે તો જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાની નહિ, બુઝાવવાના ઉપાયની જરૂર હતી. જો કોઈ સારું ખાવાનું (ખાધેબલ) આપે તો હોજરીની તો ગમે ત્યારે ‘હા’ જ હતી. હોજરી તો ચોવીસ કલાક પ્રદીપ્ત રહેતી ને જઠરાગ્નિ તો કોઈ અવધૂત જોગીના ધૂણાની જેમ દિવસ-રાત ભડકે બળતો. મહંમદ બેગડાની જેમ દિવસ-રાતના કોઈ પણ સમયે ખાઈ લેવા માટે અમે તૈયાર અને શક્તિમાન હતા. ‘ખાધું પ્રભુ પચાવે છે.’ એ ભક્તિસૂત્રમાં મને એકસોને દશ ટકા દઢ વિશ્વાસ હતો. ‘અપચો’ શબ્દ અમારા શબ્દકોશમાં જ નહોતો.

અમારી ભોજનચર્યા કંઈક આવી હતી. સવારે ઊઠીને નાહીધોઈ લીધા પછી સાત વાગ્યે અમને ચા આપવામાં આવતી. અમારી એ ચા ખરેખર ‘ચા-પાણી’ હતી જેમ પૃથ્વી પર લગભગ એકોતર ટકા વિસ્તારમાં પાણી છે એવું જ અમારી ચામાં હતું. ચામાં ‘ચા’ (ચાની ભૂકી) જ ઓછી પડતી. તેથી ચાનો રંગ લોહીના ટકા ઘટી ગયેલા મનુષ્ય જેવો ફિક્કો રહેતો. આ ચાને ‘ચા’નું સ્વરૂપ આપવા માટે ત્રણ-ચાર મિત્રો સાથે મળી જૂથ બનાવી, ભાગીદારીમાં ચા-ખાંડ ખરીદી લાવતા. પછી પોતાના હિસ્સે આવેલી ચામાં ઘરની ચા અને ખાંડ ઉમેરી સગડી પર ફરીથી ગરમ કરી કડક ચા બનાવતા. જેને અમે ‘અમીરી ચા’ કહેતા. આ ચાની સાથે ખાવા માટે ભાખરી મળતી, પણ સાંજની. જે ભાખરી સાંજે ગરમાગરમ બની હોય ત્યારે પણ ખાઈ ન શકાય એવા મજબૂત બંધારણ વાળી ભાખરીને અમે છેક બીજે દિવસે સવારે પણ શેકીને ચા સાથે ખાઈ જતા. તે વખતે અમારી બોર્ડિંગમાં રસોડું નીચે જ હતું. ઘણી વાર બોર્ડિંગનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય ત્યારે બકરાં કે કૂતરાં ઘૂસી જતાં. ઘણી વાર રસોડું પણ ખુલ્લું હોય પણ ક્યારેય કોઈ બકરું કે કૂતરું અમારી ભાખરી ઉપાડી ગયાનો દાખલો નથી, જો કોઈ નવું કે અજાણ્યું કૂતરું-બકરું હોય તો સાહસ કરે ખરું. આવું કોઈ કૂતરું-બકરું ભાખરી લઈને ભાગી જતું હોય તો અમે તેના મુખમાંથી ભાખરી છોડાવવાનો પ્રયત્ન ન કરતા. સૌ કહેતા કે ‘નવું લાગે છે. અજાણ્યું લાગે છે.’ જો ભૂલેચૂકે તે પ્રાણી અમારી ભાખરી ખાઈ ગયું તો ફરી દેખાતું નહિ. માત્ર અમે જ એવા હતા કે એ જ કઠોર ભાખરીઓ ખાઈને પણ સાજા-તાજા રહેતા.

હવે સીધા જ બપોરના ભોજન પર આવીએ તો અમારું બપોરનું મેનું હતું. ‘દાળ, ભાત, શાક, રોટલી, છાશ.’ એમ તો અમારી ભોજનશાળાની બહારની દીવાલ પર દૈનિક ભોજનની સવાર-સાંજની વાનગી દર્શાવતું મોટું ઝળહળતું બોર્ડ મારેલું હતું. જો કોઈ અજાણ્યો માનવી આ વાનગીઓ વાંચે તો ભોજન બાબતે તો અમને ભાગ્યશાળી જ સમજે એવું સાડીના સેલના બોર્ડ જેવું લોભામણું બોર્ડ હતું. બપોરે અમે જમવા બેસીએ ને તવા પરથી જે ગરમાગરમ રોટલી ઊતરે તે ઊતર્યા પછીની વધુમાં વધુ પાંચ મિનિટમાં ખાઈ જવી પડતી. જો રોટલી ઠંડી થઈ જાય, ઠરી જાય તો અનબ્રેકેબલ બની જતી. તેથી જ ગરમાગરમ રોટલી માટે બૂમાબૂમ થતી. અમારી રોટલી, ભાખરી કે પૂરીના મજબૂત બંધારણનો એક કિસ્સો – એક વાર સાંજે ભોજનમાં પૂરી બનાવવામાં આવી. તે પૂરી મોડી રાત્રે નાસ્તો કરવામાં ખપ લાગે તે માટે અમે ચોરી લીધેલી. રાત્રે બે વાગ્યે તે ચોરેલી પૂરીઓનો ચા અને નાસ્તો પણ કરેલો. પણ કોઈક અવળચંડાએ વધેલી એકાદ પૂરી બારીએથી બહાર ગલીમાં ફેંકી દીધી. બરાબર બીજે દિવસે સવારે આઠ વાગ્યે અમારી બોર્ડિંગના સંચાલક મંડળના પ્રમુખ જે પોતે પણ આ બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, તે નીકળ્યા. તેમની નજરે પૂરી ચડી. તરત જ તેમણે સ્કૂટર થોભાવી તે પૂરી લીધી. પૂરી બે હાથે ખેંચી, તાણી પણ તૂટી નહિ તેથી તેને ખાતરી થઈ ગઈ કે આ પૂરી બોર્ડિંગની જ છે અને ઉપરની આઠ નંબરની રૂમની બારીએથી જ ફેંકાણી છે. આ મુદ્દે તેમણે ‘રો’ ના જાસૂસની જેમ ઈન્વેસ્ટિગેશન કરી, પૂરી ચોરીનો આખો કેસ પ્રકાશમાં લાવ્યા. પૂરી ચોરવાના મુદ્દે અમને કડક નોટિસો મળી. નોટિસોમાં એવું લખાણ હતું કે, ‘આ રીતે પડેલી પૂરી કોઈ જુએ તો (કદાચ તોડે તો) બોર્ડિંગની પ્રતિષ્ઠા શું ? જેના જવાબમાં અમે ફુલસ્કેપનાં બબ્બે પાનાં ભરાય એવાં માફીપત્રો લખી આપેલ.

રસોઈયા પણ વારંવાર બદલાતા રહેતા. કારણ કે તેઓ જાતે ટિફિન ભરીને ટિફિનમાં જરૂર કરતાંય ઘણી વધારે રોટલી ઘરે લઈ જતા. પણ ઘરે જઈને તેઓ રોટલી ખાઈ શકતા નહિ. તેથી નોકરી છોડી દેતા. કારણ કે માત્ર લોટ અને પાણી જેવા નિર્દોષ પદાર્થોમાંથી જ અમારી રોટલીનો દેહ ઘડાતો. મોણને એમાં ક્યાંય સ્થાન નહોતું. મોણ વળી શું ? રોટલી કે ભાખરીમાં મોણ નાખવું પડે તેની ખબર તો અમને વરસો વીત્યાં પછી પડી. ભોજનમાં દાળ પણ દરરોજ બનતી પણ દાળમાં નાખેલા સ્વાદવર્ધક પદાર્થો વિરોધ પક્ષની જેમ નોખા તરી વળતા ને ધીમે-ધીમે છેક તળિયે બેસી જતા. પછી દાળ સ્વરૂપે માત્ર આછી પાતળી કલરવાળી મરચાની ભૂકીને કારણે સહેજ લાલાશ પડતી દેખાતી. પ્રવાહી જ તપેલામાં તરતું. તેથી દાળ પીરસનારાએ મહાસાગરના તળિયેથી મરજીવાઓ જેમ સાચાં મોતી કાઢવાનો પ્રયત્ન કરે તેમ ડોયો વારંવાર તળિયા સુધી લંબાવી દાળને ગોળ ગોળ ફેરવી, તળિયે પડેલા સ્વાદવર્ધક પદાર્થોને ડોયામાં પકડવાનો પ્રયત્ન કરવો પડતો. પણ ચાળીસ વિદ્યાર્થીઓ માટે બનેલી દાળના મહાસાગરમાંથી અતિ લઘુમતી સ્વરૂપે રહેલા આ ચંચળ પદાર્થો પકડી શકતા નહિ. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઠંડી થઈ ગયેલી આ દાળને પોતાની ખાનગી તપેલીમાં ભરી, રસોડામાં ભઠ્ઠા પર ગરમ કરી, બબ્બે તપેલી દાળ પી જતા. આજે પણ અમારા મિત્રોમાં કહેવાય છે કે જેટલા જેટલાએ આ દાળ પીધી તે તમામને રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદા પર ઑફિસર તરીકે બિરાજે છે. શાક લગભગ બાફેલું જ રહેતું. તેમાં પણ તેલ-મસાલા જેવા તામસિક પદાર્થોને કોઈ સ્થાન નહોતું. ટૂંકમાં અમારું ભોજન સંતો જેવું (પહેલાન) હતું. તેથી અમને અસંતોષ રહેતો.

દર રવિવારે જ્યારે અમારા બોર્ડિંગ સંચાલકોની મીટિંગ થતી અને તેલમસાલા વગરના માત્ર બાફેલા શાક વિશે અમે ફરિયાદ કરતા ત્યારે તેઓ વિસ્તારપૂર્વક બાફેલું ખાવાના ફાયદા વૈજ્ઞાનિક ધોરણે સમજાવી તેમાં શિખામણનો છંટકાવ કરી અમને ટાળી દેતા. અમારી ફરિયાદોમાં દાળમાંથી વંદો નીકળવો, રોટલી ન તૂટવી, ભાત સિમેન્ટના ચોસલા જેવા હોય વગેરે રહેતી. ત્યારે અમારા એક બુદ્ધિજીવી ગણાતા ટ્રસ્ટી અમારી ફરિયાદને મનોવૈજ્ઞાનિક ઢબે ટાળવા શાંત સ્વરે કહેતા કે, ‘ભગો, જુઓ આજે મારે ઘરે પણ દાળમાંથી વાળ નીકળ્યો હતો બોલો ?’ ત્યારે અમારા એક આખાબોલાએ કીધેલું કે, ‘તો પછી તમેય અહીં આવતા રહો ત્યાં શું કામ પડ્યા છો.’ તે આખાબોલાને શિસ્તભંગની નોટિસ મળેલી પણ પેલા બુદ્ધિજીવીએ ત્યાર પછી પોતાના મનોવૈજ્ઞાનિક મંત્રનો ત્યાગ કરેલો. ભાત સિમેન્ટના ચોસલાની જેમ જામેલા અને કાયમ કાચા રહેતા. આ ચોસલું થાળીમાં લઈ તેના પર દાળ નાખતા ત્યારે ‘પથ્થર પર પાણી’ જેવી હાલત થતી. આ દાળ અને ભાતને યુગોથી બાપે માર્યાં વેર હોય એવું લાગતું. ટૂંકમાં ભાતને પલાળીને પોચા બનાવી દેવાની દાળની દાળ ગળતી નહિ. તેઓ મિક્સ થવા માગતા નહિ ને અમે તેને મિક્સ કર્યા વગર છોડતા નહિ. ટૂંકમાં અમારાં દાળભાતને ભેગાં કરવાં એ ભાજપ અને ડાબેરીઓને ભેગા કરીને સરકાર રચવા જેવું અઘરું કામ હતું.

અમે એક હાથેથી સામે છેડેથી થાળીને ઊંચી પકડી રાખતા ને નીચાણવાળા ભાગમાં દાળ સ્વરૂપે એકઠાં થયેલા પ્રવાહીમાં પરાણે ભાતને ચાર આંગળા વડે નિર્દયપણે છૂંદીને મિક્સ કરતા. એમાં પણ થોડી મરચાની ભૂકી છાંટતા. જેથી તીખાશ પકડે. અમને દાળભાતમાં નાખવા માટે લીંબુ કે દહીં એવું કશું મળતું નહિ. ત્યારે કોઈક વિદ્યાર્થી પોતાના ખર્ચે લીંબુ લાવતો ત્યારે બીજા પણ કહેતા કે થોડું મને દે જે, બે ટીપાં પડે એટલું મને દેજે. આમ, એક લીંબુનું અડધું ફાડિયું ચાર-પાંચ જણ નિચોવતા, લીંબુનું છોતરું એકના હાથમાંથી બીજાના હાથમાં જાય ત્યારે દર વખતે તે જોતાં એવું લાગતું કે હવે આમાંથી કાંઈ નીકળશે નહિ. પણ એ નિચોવાયેલા લીંબુને સ્વીકારનારા દરેક વિદ્યાર્થી ‘જોર લગા કે હેઈસા’ કરીને તેમાંથી બબ્બે ટીપાં રસને તો કાઢતો જ. ‘ચિચોડો’ કહેવાતા અમારા એક મિત્રને તો લીંબુનું છોતરું છેલ્લે જ આપવામાં આવતું. આ ‘ચિચોડો’ ઉપનામધારી મિત્રને કુદરતે એવી શક્તિ આપી હતી કે તે પથ્થર નિચોવે તો પણ તેમાંથી રસ કાઢી શકે. ચિચોડો ‘બજરંગબલી કી જય’ બોલીને ગોઠણભેર થઈને, દાંત કચકચાવીને મકરધ્વજની જેમ લીંબુ પર એવું ભયંકર દબાણ કરતો કે ખલ્લાસ થઈ ગયેલા છોતરામાંથી આઠ-દશ ટીપાં રસ નીકળતો. પછી કોઈની તાકાત નહોતી કે તેમાંથી એક ટીપું પણ કાઢી શકે. આ મિત્રના હાથમાંથી લીંબુ નીકળી ગયા પછી સૌ કહેતા બસ હવે ચિચોડામાં આવી ગયું. હવે એમાં કાંઈ ન હોય. આમ ચિચોડાના હાથમાંથી પસાર થયા પછી લીંબુ ખરેખર છોતરું બની જતું.

સાંજના ભોજનમાં ભાખરી, ખીચડી, કઢી અને શાક રહેતાં. આમાં જે દિવસે સેવ-ટામેટાનું શાક બનતું તે દિવસે રંગ રહી જતો. એનો અર્થ એવો નથી કે સેવટામેટાનું શાક ખૂબ સ્વાદિષ્ટ બનતું. સેવટામેટાનું શાક એટલે ખરેખર તો સેવટામેટાની દાળ જ જોઈ લ્યો. ચાળીસ જણ માટે તપેલું ભરીને બનેલા શાકમાં જેમ પેસિફિક મહાસાગરમાં પચાસેક માછલીઓ તરતી હોય તેમ ટામેટાના સાત-આઠ ટુકડા તરતા હોય. રડી-ખડી સેવ તરતી હોય. કારણ કે શાક માટે સેવ પચાસ ગ્રામ જ મંગાવવામાં આવતી. શાકમાં સેવ અને ટામેટા અતિ અલ્પ માત્રામાં હોવા છતાં તે શાકનું નામ ‘સેવટામેટાનું શાક’ કહેવાતું. પીરસતી વખતે કોઈ કોઈના વાટકામાં તો માત્ર સેવટામેટાનો ગરમાગરમ સૂપ જ આવતો. સેવ કે ટામેટું તો આવતું જ નહિ. આવી ઘટના બનવાથી એક વિદ્યાર્થી સેવટામેટાના શાકથી છલ્લોછલ્લ ભરેલો કટોરો લઈ ગૃહપતિ સાહેબની ઑફિસમાં ગયો. અમે પણ ભોજન પડતું મૂકી મનોરંજન ખાતર તેની પાછળ ગયા. તેણે સાહેબના ટેબલ પર વાટકો મૂકી પુણ્યપ્રકોપ ઠાલવતા કહ્યું : ‘સાહેબ આમાં માત્ર એક ટમેટું તો બતાવો, એક ટુકડો તો બતાવો.’ સાહેબ ગુસ્સે થયા. પેલાને દોષિત ઠરાવવા કટોરામાં ચમચી ફેરવવા લાગ્યા. પાંચસાત મિનિટ હલાવતા છતાં ન જોવા મળ્યું ટમેટું કે ન જોવા મળી સેવ ! છતાં સાહેબ ગર્જયા. ‘આ બધું કરવાનું કારણ ?’ પેલાએ કહ્યું, ‘આપણા બોર્ડના દૈનિક ટાઈમટેબલ મુજબ આને સેવટામેટાનું શાક કહેવામાં આવે છે. જેમાં સેવ કે ટામેટા શોધ્યાં જડતાં નથી.’ ત્યારે સાહેબે ફરી પેલા વિદ્યાર્થીને તતડાવતા કહ્યું, તને શું ખબર પડે, આપણે શાક માટે ખૂબ સારી ગુણવત્તાવાળાં પાકેલાં ટમેટાં લાવીએ છીએ. આ ટમેટાં ગરમ થતાં, બફાતાં પાણી સાથે એકરસ થઈ જાય છે. ઓગળી જાય છે. હવે પેલા પાસે કોઈ જવાબ નહોતો. આ વિદ્યાર્થીને પણ ‘સેવટામેટાના શાકના મુદ્દે વિદ્યાર્થીઓની ઉશ્કેરણી’ એવી ગંભીર નોટિસ આપવામાં આવી.

આમ છતાં ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘દુ:ખ છે તો દુ:ખનો ઉપાય પણ છે.’ આવી રીતે માત્ર પ્રવાહી સ્વરૂપે જ્યારે સેવટામેટાનું શાક આપવામાં આવતું ત્યારે અમે એક સાથે ચાર-પાંચ ભાખરી લઈ અને તે ગરમ હોય ત્યાં જ એનો ભૂકો કરી, ચૂરમું બનાવી આ ભાખરિયા ભૂકામાં ટમેટાની અસરથી ખાટા થઈ ગયેલા પાણીમાં મરચાની ભૂકી નાખી, તીખાશ ઉમેરીતે પ્રવાહીને ભૂકામાં રેડી, તેમાં ભાખરી ચોળીને ચાર-પાંચ ભાખરી ખાઈ જતા. ભાખરીના ભૂકા અને ખાટા-તીખા પાણીથી બનેલી આ ખાટસવાદિયા છાપ નવી જ વાનગી અમે આરોગતા. એનો સ્વાદ સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કારણ કે તે વાનગીની તુલના થઈ શકે એવી જગતમાં બીજી કોઈ વાનગી જ નથી. તેની તો અનુભૂતિ જ કરવી પડે, શબ્દોથી વર્ણવી શકાય નહિ. આમ જેને સેવટામેટાનું શાક જ ન કહી શકાય એવા શાકમાં પણ અમે ભરપેટ જમી લેતા. પેલા બબ્બે તપેલી દાળ પીનારા તો દશ-દશ ભાખરી ચોળીને ખાઈ જતા. પછી ગીરના સાવજ ડણકતા હોય એમ કાચા-પોચાના તો હાંજા ગગડી જાય એવા રજવાડી ઓડકાર ખાતા. અમારા ઓડકાર ધ્વનિ (જેનું મહત્વ ત્યારે ‘ૐકાર’થી પણ વિશેષ હતું.) સાંભળનાર ને ભારોભાર ઈર્ષ્યા થાય કે આ આવા ઓડકાર ખાય છે તો તેમનું ભોજન કેવું સ્વાદિષ્ટ હશે ?’ આમ ઓડકાર એ અમારી ભોજનચર્યાની ખૂબી હતી. અમને ભલે કાંઈ ન મળતું પણ ઓડકાર તો બીજાને ઈર્ષ્યા થાય તેવા જ ખાતા. પેલા શ્રદ્ધાસૂત્રમાં અમે ઉમેરો કર્યો હતો કે, ખાધું પ્રભુ પચાવે છે એટલું જ નહિ, ‘કાચું પણ પ્રભુ પચાવે છે.’

– નટવર પંડ્યા

Manavyantra 

એક ગામડાનો ભોળો ખેડૂત એક વખત શહેરમાં ગયો. શહેરના રસ્તાઓ, મોટા મોટા મકાનો વગેરે જોઈને એ ખૂબ પ્રભાવિત થઈ ગયો. એવામાં એને એક મિત્ર મળી આવ્યો. એ મિત્રને પોતાનું કારખાનું હતું. એટલે તેને થયું કે લાવ, આજે મારો મિત્ર શહેરમાં આવ્યો છે તો એને મારું કારખાનું પણ બતાવી દઉં. બંને સાથે ઉપડ્યા. રસ્તામાં એણે પોતાના ધંધા-રોજગાર વિશે ઘણી વાતો કરી. મિત્રની પ્રગતિની વાતો સાંભળીને પેલો ખેડૂત ખુબ ખુશ થયો.

બપોરના જમવાના સમયે જ્યારે કર્મચારીઓ ‘કેન્ટીન’ તરફ ગયા હતા, ત્યારે આ બંને મિત્રો કારખાને પહોંચ્યા. એ મિત્ર ખેડૂતને જ્યાં મોટા મોટા વિશાળ મશીનો રાખ્યા હતા એ શેડ તરફ દોરી ગયો. ત્યાં જઈને તેણે કહ્યું : ‘કે આ જો મોટા મોટા મશીનો…. મારી સમસ્ત પ્રગતિનો આધાર આ તમામ મશીનો છે. આજે હું જે કંઈ છું તે એના થકી છું.’ ખેડૂત આ બધું જોઈ સાંભળીને વિસ્મય પામ્યો. એણે મનમાં કંઈક નક્કી કર્યું અને મિત્રની મહેમાનગતિ માણીને બે દિવસ પછી પોતાને ગામ પાછો ફર્યો.

શહેરથી આવ્યા પછી ખેડૂતને કંઈ ચેન પડતું નહોતું. એને પણ એમ થતું હતું કે મારે મારા મિત્ર જેવી પ્રગતિ કરવી છે. મારે પણ એવું કારખાનું નાખવું છે અને પ્રસિદ્ધિ મેળવવી છે. ખૂબ વિચારને અંતે એણે કાપડ પર છાપકામ કરવાનું એક મશીન લેવું એમ નક્કી કર્યું. પોતાની અમુક વીઘા જમીન એણે વેચી દીધી અને શહેરમાંથી મશીન લાવીને ખેતરમાં એક શેડ ઊભો કરીને મશીન મૂકી દીધું. એ ભોળા ખેડૂતના મનમાં એમ હતું કે એકવાર મારી પાસે મશીન આવી જશે એટલે મારી જાહોજલાલીમાં આપોઆપ વધારો થશે જ. સરસ મજાનું છાપરું અને સિમેન્ટનો ઓટલો બનાવીને મશીન એણે મૂકી દીધું. પેલા મિત્રને ત્યાં જોયું હતું એ પ્રમાણે એણે મશીનના વિવિધ ભાગોને રોજ ઓઈલ મૂકવા માંડ્યું. મશીનને ભેજ ના લાગે એની માટે મિત્ર જે જે રીતે ઉપાયો કરતો હતો એ બધા ઉપાયો આ ખેડૂતે કરવા માંડ્યા. જેનાથી મિત્રની પ્રગતિ થઈ હતી, એ સાધનને દેવ તરીકે માનીને તેની રોજ તે પૂજા આરતી કરવા માંડ્યો. દિવસો વિતતા ગયા અને ખેડૂતનું મશીન જાળવવાનું ખર્ચ વધતું ગયું. મશીનનો શું ઉપયોગ કરવો અને એનાથી કેવી રીતે કામ લેવું એની એને સમજ નહોતી. એને મન તો મશીન એક દેવતા કે જાદુઈ ચિરાગના જીન જેવું હતું ! મહિનાઓને અંતે થાકીને એણે એ મશીન વેચવાનો વિચાર કર્યો ત્યાં પેલો શહેરમાં રહેતો મિત્ર એક દિવસ એના ગામ તરફ આવ્યો.

‘શું થયું તું આટલો દુબળો અને નિસ્તેજ દેખાય છે. આ વખતે ખેતરમાં પાક નથી લીધા કે શું ?’ મિત્રે પૂછ્યું.
‘ના. વાત કંઈક જુદી જ છે. આ મેં પણ અમુક વીઘા જમીન વેચીને તારી જેમ મોટું મશીન લીધું. મને એમ કે એ મશીન આવવાથી મારી પ્રગતિ થશે, હું પણ અમીર બનીશ. પરંતુ હું તો રોજ એની સંભાળ રાખું છું તોય મારી પ્રગતિ માં કોઈ ફેર પડતો નથી…. હવે તું જ કહે મારે શું કરવું ?’ ખેડૂતે પોતાની નિરાશા વ્યકત કરી. ભોળા ખેડૂતની વાત પર મિત્ર ખૂબ હસ્યો. સૌ પ્રથમ તો એને શું કહેવું એ જ સમજાયું નહિ, પછી શાંતિથી એ ખેડૂતના ખભે હાથ મૂકીને બોલ્યો : ‘જો ભાઈ, કોઈ પણ મશીન આપણે લાવીને મૂકી દઈએ એનાથી આપણી પ્રગતિમાં કોઈ ફેર પડતો નથી. એ મશીનને યોગ્ય રીતે ચલાવવું પડે. એનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવું પડે. ઉત્પાદન કરવા માટે કાચો માલ લાવવો પડે. કર્મચારીઓ રાખવા પડે. કલાકોના કલાકો મશીનનો ઉપયોગ કરીને કામ કરવું પડે. તૈયાર થયેલો માલ બજારોમાં પહોંચાડવો પડે અને એ માલ જ્યારે વેચાય ત્યારે આપણે સમૃદ્ધ થઈએ. મશીનને તેલ પૂર્યા કરીએ કે પછી મશીનની રોજ પૂજા કર્યા કરીએ એથી મશીન ખુશ થઈને આપણને કંઈ આપી ન દે. એ આપવા માટે તૈયાર છે, પરંતુ એનો યોગ્ય ઉપયોગ આપણને કરતા આવડવો જોઈએ.’ ખેડૂત પોતાના વિચારો પર શરમાયો, તેને સાચી વાતનું ભાન થયું.

ઉપરોક્ત ભોળા ખેડૂતની વાત આપણા જીવનને અનેક રીતે સ્પર્શે છે. મનુષ્યનું શરીર એક યંત્ર છે. એ યંત્રને આપણે ખૂબ સ્વસ્થ અને ચોખ્ખું રાખવા પ્રયત્ન કરીએ છીએ. એની માટે રોજ ‘મોર્નિંગ વૉક’ કરીએ છીએ, પૌષ્ટિક ખોરાક લઈએ છીએ, વિવિધ પ્રકારના પકવાનો આરોગીએ છીએ, કસરતો કરીએ છીએ, વિટામીન-પ્રોટિનની ગોળીઓ લઈએ છીએ, આયુષ્ય વધે એના સતત ઉપાયો કરીએ છીએ પરંતુ એ આયુષ્યને વધારીને કરવાનું શું એ આપણને કદાચ જ્ઞાત નથી….. તમામ પ્રકારના ઉપાયો કરીને આપણે આપણા આ શરીરરૂપી યંત્રને સ્વસ્થ અને ચોખ્ખું રાખીએ એ સારી વસ્તુ છે પરંતુ એ માત્રથી જ આપણે સફળ થઈ ગયા, એ માનવું ભૂલ ભરેલું છે. વ્યક્તિની, કુટુંબની અને સમાજની જરૂરિયાત માટે જો આ યંત્ર નો ઉપયોગ ન થતો હોય, તો એનું હોવું વ્યર્થ છે. જીવનના પડકારો અને સમસ્યાઓરૂપી કાચો માલ એને સતત મળવો જોઈએ. પરિશ્રમ અને વિચારરૂપી એના ચક્રો સતત ગતિમાન રહેવા જોઈએ, તો જ શુદ્ધિ, શાંતિ, અનુભવ, અને પ્રસન્નતારૂપી પાકો માલ વ્યક્તિના જીવનને પ્રાપ્ત થાય છે. પૂ. રવિશંકર મહારાજનો મંત્ર હતો ‘ઘસાઈને ઊજળા થવું.’ જીવન જો બીજા માટે ઘસાય તો એની સાર્થકતા છે બાકી શરીર સ્વસ્થ રાખવા અનેક દવાઓની ગોળીઓ લઈને, જો સોફા પર પડી રહેવાનું હોય તો એ પેલા મશીન જેવી વાત છે ! માત્ર શ્રમ કરે એટલું જ નહિ, વ્યક્તિ પ્રતિપળ કંઈક શીખે, એનામાં નવા વિચારો વિકસે, એ પ્રસન્નતા અનુભવે – એ બધા મનુષ્યશરીરરૂપી સાધનના શ્રેષ્ઠ ઉપયોગો છે. શરીરને બદામ અને પિસ્તા ખવડાવીને બેસાડી રાખીએ તો એનાથી શરીર જરૂર તંદુરસ્ત થાય છે, જીવન સમૃદ્ધ નથી થતું કારણકે કોઈ ઉત્પાદન થતું જ નથી. કદાચ એ કારણને લીધે બહુધા એવું બને છે કે જે લોકો ખૂબ ધનસમૃદ્ધિમાં આળોટતા હોય, એવા લોકોને સર્જનાત્મક વિચારો ઓછા આવે છે, તેમની જ્ઞાનની ભૂખ ઓછી થતી જાય છે.

વળી, ઉત્પાદન માત્ર સમૃદ્ધિ અને ઐશ્વર્યનું જ થાય એવું પણ નથી. વ્યક્તિના જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિઓ તેને વિવિધ પ્રકારે ઘડે છે અને એનાથી જે ઉત્પાદન થાય છે તેને ‘અનુભવ’ કહે છે. અનુભવી માણસ જીવનની કોઈ પણ પરિસ્થિતિ સામે સૌમ્ય અને શાંત રહી શકે છે કારણકે તેણે તેના શરીર અને મનનો યોગ્ય ઉપયોગ કરીને, તેને કેળવીને જીવનનું ભાથું બાંધ્યું છે. એવો વ્યક્તિ વિચારવાન અને પ્રજ્ઞાવાન બને છે. એવા વ્યક્તિને પછી દુનિયાના દુન્યવી રસોમાં જવાની ઈચ્છા નથી થતી.

થોડા સમય પહેલાં એક અખબારમાં એક વૃદ્ધાની મુલાકાત હતી કે જેમના તમામ સ્વજનો મૃત્યુ પામ્યા હતા. તેમની ઉંમર પણ સિત્તેર વર્ષની આસપાસ પહોંચી હતી. બહુ ખોરાક લઈ શકતા નહતા. ઉંમરને કારણે પથારીમાંથી બહુ ઊઠી શકાતું નહતું. માત્ર કોફી અને થોડા ખોરાકને આધારે તેઓ પોતાનું જીવન વ્યતિત કરતાં હતાં. પરંતુ સમાજને સારા વિચારો પહોંચાડવાની તેમની લગની એટલી અદ્દભુત હતી કે તેમણે પથારીમાં રહીને પણ અનેક ગ્રંથોનું સર્જન કર્યું, તેમને અનેક પારિતોષિકો મળ્યા અને તેમનું સાહિત્ય દરિયાપારના અનેક દેશો સુધી પહોંચ્યું. સુપ્રસિદ્ધ કવિ શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્રના સુપુત્રી જન્મથી જ અસાધ્ય રોગથી પીડાતા હોવાને કારણે હાથપગ કામ કરી શકતા નથી પરંતુ આજે આપણી જ સામે તેમણે અમેરિકા જઈને પી.એચ.ડી સુધીનું ભણતર પૂરું કર્યું. આપણા લાડિલા શરણાઈવાદક, જીવનની છેલ્લી પળો સુધી હોસ્પિટલમાં પણ શરણાઈના સૂર રેલાવતા હતા. વિદ્વાન પુરુષ કે.કા.શાસ્ત્રી સાહેબ જીવનની અંતિમ પળો સુધી સંસ્કૃત ગ્રંથોના ભાષાંતર અને સાહિત્યના નવર્સજન પ્રત્યે કટિબદ્ધ હતા. આમ, જેમણે આ યંત્રની મહત્તા જાણી છે તે તો તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ સમાજમાટે વિવિધ સ્વરૂપે કરવા તત્પર જ રહે છે. તેનાથી તે વ્યક્તિ સંતોષ અને પ્રસન્નતા પામે છે. આજકલ ઘણા લોકો એ પ્રશ્ન પૂછે છે કે એવા કામો કરવાથી શું મળે ? અત્રે યાદ રાખવું જરૂરી છે કે જે કામોમાં આપણને પ્રત્યક્ષ લાભ દેખાતો ન હોય, એવા દરેક કામોમાં પ્રસન્નતા મળતી હોય છે. અને ચિત્તની શાંતિ અને પ્રસન્નતાની તોલે દુનિયાની કોઈ સંપત્તિ આવી શકે નહિ.

વ્યક્તિના જીવનના શ્રેષ્ઠતમ ઉપયોગ માટે વ્યક્તિએ પોતાની ઊર્જા, શક્તિને એક જગ્યાએ કેન્દ્રિત કરવાની આવશ્ક્યતા છે જેથી કરીને તે આ શરીરરૂપી મશીનનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને સુખ,શાંતિ, સમૃદ્ધિ અને પ્રસન્નતા બધું જ મેળવી શકે. પરંતુ વ્યક્તિને પોતાની ક્ષમતા પર વિશ્વાસ નથી તેથી તે પદ, પ્રતિષ્ઠા અને પૈસાની આંધળીદોડમાં આમથી તેમ દોડીને પોતાની આંતરિક સમૃદ્ધિને ખોઈ બેસે છે. આ શરીરનો શ્રેષ્ઠતમ ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે સૌએ ઉપરના રૂપક પરથી સમજવું રહ્યું.

– મૃગેશ શાહ